સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી ખાતે નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે. આ અદ્યતન ભવનનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે રૂ. ૦૪ કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. મુળી મામલતદાર કચેરીના નવા ભવનના નિર્માણ થકી સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે.
અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દશ હેઠળ વહીવટી માળખાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવાના પ્રયાસો અવિરતપણે ચાલુ છે, જેથી નાગરિકોને સરકારી સેવાઓનો લાભ ઝડપથી અને સરળતાથી મળી રહે. નાગરિકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી સરકારી કચેરીઓને પણ આધુનિક આંતરમાળખાકીય સગવડો સાથે સુસજ્જ કરવામાં આવી રહી છે.


