ગુજરાત સરકારના વિકાસ સપ્તાહના અંતિમ દિવસે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ)ના માધ્યમથી નિર્માણ પામનારા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કર્યું હતું.
આ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા કેનાલ પાસે, વઢવાણ-લીંબડી હાઈવે ખાતે નિર્માણ પામશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ વિજ્ઞાન કેન્દ્રના નિર્માણ માટે ભૂમિપૂજન કરી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહના છેલ્લા દિવસે શહેરી વિકાસ વિભાગ અને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અનેક વિકાસના કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ થયું છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાત અને દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ગુજરાતને વિકાસનું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે અને સમગ્ર વિશ્વમાં ભારતને એક આગવું સ્થાન અપાવ્યું છે. જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યું, ત્યારે ભારત વિશ્વમાં ૧૧મા સ્થાને હતું. આજે, ભારત વિશ્વની ચોથી મહાસત્તા તરીકે પહોંચી ગયું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત દેશ વિશ્વની ત્રીજી મહાસત્તામાં હશે.
આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં ભારત સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાનશ્રીના આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ‘આત્મનિર્ભર ભારત’ બનાવવા માટે સૌ ભારતીય નાગરિકોએ ‘વોકલ ફોર લોકલ’ અપનાવવું પડશે. વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકોએ પરસેવો વહાવીને ભારતીય ભાઈઓ-બહેનોએ કારખાના કે ગૃહ ઉદ્યોગના માધ્યમથી બનાવેલી સ્વદેશી ચીજવસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. જો આપણે વિદેશી વસ્તુઓનો ઉપયોગ બંધ કરીને આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરશું, તો આ દેશ ૨૦૪૭ નહીં પણ ૨૦૩૭ માં જ સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બની જશે, એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સુમિત કુમાર, વઢવાણ પ્રાંત અધિકારી શ્રી મેહુલભાઈ ભરવાડ, અગ્રણી સર્વે શ્રી દેવાંગભાઈ રાવલ, જયભાઈ શાહ, રાકેશભાઈ ખાંદલા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અરવિંદકુમાર ઓઝા સહિતના મહાનુભાવો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




