સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે આજથી ચાર દિવસ લોકમેળાની રંગત શરૂ:મંત્રીશ્રી મુળુભાઈ બેરા:નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાની પ્રેરક ઉપસ્થિતિ
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ આજે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં “સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળા"નું ઉદઘાટન કરી ખુલ્લો મુક્યો હતો. આ સાથે આજથી સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે ચાર દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે.સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાને ‘વિરાસત અને ધરોહર’નું નામ આપવા બદલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને હાર્દિક અભિનંદન પાઠવતાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવો અને લોકમેળાઓનું અનન્ય મહત્વ છે. તરણેતર, માધવપુર જેવા લોકમેળાઓ આપણી સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતીક છે. આ મેળાઓ આપણી સાંસ્કૃતિક એકતાના મૂળને મજબૂત બનાવે છે. દરેક મેળો પોતાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને સ્વરૂપ દ્વારા આપણી સંસ્કૃતિનું જતન કરવાના ઉદ્દેશ્યને સાકાર કરે છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ આજે ગુજરાતના દરેક જિલ્લામાં આવા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનશ્રીનું ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જે આપણી રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવે છે.ઉપસ્થિત લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવાનો અનુરોધ કરતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, જન્માષ્ટમી જેવા લોકમેળાઓમાં ‘વોકલ ફોર લોકલ’ની ભાવના આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. આ પહેલ દ્વારા વડાપ્રધાનશ્રીનું ‘આત્મનિર્ભર ભારત’નું સ્વપ્ન સાચા અર્થમાં સફળ થશે. આજે ભારત વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોનું નિર્માણ કરી રહી છે. આપણે સ્વદેશી ઉત્પાદનોને અપનાવીએ તો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને વધુ બળ મળશે, જે ભારતની આર્થિક પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે.આપણી સંસ્કૃતિમાં પારંપરિક ઉત્સવો અને લોકમેળાઓનું અનન્ય મહત્વ:લોકમેળાઓમાં ‘વોકલ ફોર લોકલ’ની ભાવના આપણી પ્રાથમિકતા હોવી જોઈએ:મંત્રી મુળુભાઈ બેરા
આ તકે ધારાસભ્ય સર્વે શ્રી શામજીભાઈ ચૌહાણ, શ્રી પી.કે.પરમાર, પૂર્વ ધારાસભ્ય શ્રી ધનરાજ કેલા, અગ્રણી સર્વે શ્રી ધીરુભાઈ સિંધવ, શ્રી દેવાંગ રાવલ, ડૉ. રુદ્રદત્ત ઝાલા, શ્રી જીજ્ઞાબેન પંડ્યા, કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિર્દેશક શ્રી ગિરીશ પંડ્યા સહિતના લોકો જોડાયાં હતાં.





