વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને પાટડીના ધારાસભ્ય પી.કે.પરમારની વિશેષ ઉપસ્થિતિમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાયકલોથોન અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓના સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ હોકીના જાદુગર ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ "નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો.
ખેલો ઇન્ડિયા" અને "ફિટ ઇન્ડિયા" જેવા અભિયાનો દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શ્રી એમ. પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુધી યોજાયેલી આ સાયકલોથોન "Ek Ghanta Khel Ke Maidan Main" અને "Har Gali Har Maidan, Khele Sara Hindustan"ની પ્રેરણાદાયી થીમ સાથે ઉજવાઈ હતી. આ રેલીને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને ઉત્સાહપૂર્વક પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીના સમગ્ર રૂટ પર દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા અને ફિટ ઈન્ડિયા સહિતના પોસ્ટરો દ્વારા શહેરીજનોને રમત-ગમતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કક્ષાના અને યુનિવર્સિટી કક્ષાના વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા
આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીશ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેનો મુખ્ય ઉદેશ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારના યુવાનોમાં રમત-ગમતની પ્રતિભાને ઉજાગર કરવાનો હતો. વડાપ્રધાન બન્યા બાદ તેમણે "ખેલો ઇન્ડિયા" અને "ફિટ ઇન્ડિયા" જેવા અભિયાનો દ્વારા રમત-ગમતને પ્રોત્સાહન આપ્યું છે. વર્તમાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષે "મેદસ્વિતા મુક્ત ગુજરાત, સ્વસ્થ ગુજરાત" જેવા અભિયાનોની ઉજવણી કરી રહ્યું છે. હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમમાં ભાગ લેનારા સૌને અભિનંદન પાઠવી અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ આપી હતી.આ પ્રસંગે પાટડીના ધારાસભ્ય શ્રી પી.કે.પરમારે મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આઝાદી પહેલાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ હોકીમાં અસાધારણ પ્રદર્શન કરીને મેજર ધ્યાનચંદજીએ ભારતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું હતું. તેમની આ સિદ્ધિઓ આજે પણ યુવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયી છે. આવા કાર્યક્રમો રમત-ગમતના મહત્ત્વને ઉજાગર કરીને આજની યુવા પેઢીમાં સ્વસ્થ જીવનશૈલી અને રમતો પ્રત્યેનો ઉત્સાહ વધારવાનું ઉમદા કાર્ય કરે છે.
આ અવસરે સુરેન્દ્રનગર જિલ્લાના કબડ્ડી, ચેસ, વોલીબોલ અને નેટબોલ જેવી રમતોમાં રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓ તેમજ શ્રી એમ. પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના યુનિવર્સિટી કક્ષાના વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઉપસ્થિત સર્વે લોકોએ આ પ્રસંગે ફીટ ઇન્ડિયા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
આ સાયકલોથોનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી, કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલકુમાર ભરવાડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ.કે.કટારા, જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારી પ્રકાશસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા સહિત અનેક રમતવીરો, શહેરીજનો, વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.








