ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતી જનતાની સુવિધામાં વધારો: ગ્રામીણ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા
આજરોજ સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે નર્મદા કેનાલ પર આવેલા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને અને દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી મુકુંદરામજી બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજને વિધિવત રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આ બ્રિજનું નિર્માણ કાર્ય માત્ર ૧૧૫ દિવસના વિક્રમી સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ બ્રિજ કાર્યરત થવાથી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ જતા મુસાફરો માટે યાતાયાત વધુ સરળ અને સુગમ બનશે. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી સુરેન્દ્રનગર આવતા નાગરિકો અને વિદ્યાર્થીઓના સમયની મોટી બચત થશે. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા તમામ વહીવટી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરીને આ પ્રોજેક્ટને ત્વરિત મંજૂરી આપવામાં આવી હતી.
આ તકે મકવાણાએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર છેવાડાના ગામડાઓ સુધી સલામત અને સુરક્ષિત રોડ નેટવર્ક પહોંચાડવા કટિબદ્ધ છે. આજે ગામડાઓમાં પણ શહેરો જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જે રાજ્યના મજબૂત રોડ કનેક્ટિવિટીના માળખાને સાબિત કરે છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં અગ્રણી શ્રી હાર્દિકભાઈ ટમાલીયા, શ્રી દેવાંગભાઈ રાવલ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




