સુરેન્દ્રનગર જિલ્લામાં ૦૭ ઓગસ્ટ ‘રાષ્ટ્રીય હાથશાળ દિવસ’ની ઉજવણી વણકર સમાજ ભવન, જોરાવરનગર ખાતે કરવામાં આવી હતી. વણકર સેવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે ૩૫૦ જેટલા વણકરો, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ અને ઉદ્યોગના અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન, નવી દિલ્હી ખાતે યોજાયેલા મુખ્ય સમારંભનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જેમાં કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના ચાર વણકરોને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વણકર સેવા કેન્દ્રના ઉપનિયામક શ્રી મનોજકુમારના સંચાલન હેઠળ યોજાયેલા આ સમારંભમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), સુરેન્દ્રનગરના ઉપકમિશનર શ્રી સતીશ બી. પરેજિયા, ઇન્ચાર્જ સહાયક કમિશનર શ્રી યુવરાજસિંહ ગોહિલ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી લવજીભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિનય મંદિર હાઈસ્કૂલના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ પણ સક્રિય ભાગ લીધો હતો.
આ તકે શ્રી મનોજકુમારે પ્રાસંગિક ઉદબોધન કરી કાપડ મંત્રાલય દ્વારા હાથશાળ ક્ષેત્રના વિકાસ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, સમર્થ યોજના હેઠળ તાલીમ પૂર્ણ કરનારા વણકરોને આમંત્રિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારંભ હાથશાળ ઉદ્યોગના યોગદાનને બિરદાવવા અને યુવા પેઢીમાં જાગૃતિ ફેલાવવા માટે એક સફળ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.


.jpeg)

