સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ નજીવી બાબતને લઈને પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યારા પતિની ધરપકડ કરી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગુંદિયાળા ગામમાં ઉપેન્દ્રભાઈ પેઢડીયાની વાડીમાં મધ્યપ્રદેશના અલીરાજપુરના કાલિયા ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ઓહરીયા તેમની પત્ની નુરલીબેન અને બે પુત્રો સાથે રહેતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાલિયા તેની પત્ની નુરલીબેન પાસે વારંવાર પૈસાની માંગણી કરતો હતો. આ પૈસાની બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ની વહેલી સવારે લગભગ ચાર વાગ્યાના અરસામાં, કાલિયાએ ફરીથી નુરલીબેન પાસે પૈસાની માંગ કરતા નુરલીબેને પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઝઘડામાં ગુસ્સે ભરાયેલા કાલિયાએ ઓરડીની બાજુમાં પડેલી ઈંટ અને પથ્થરો લઈને નુરલીબેનના માથામાં ઘા માર્યા ઈંટ અને પથ્થરના ઘા વાગતા નુરલીબેન બેભાન થઈ ગયા અને તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું.
આ બનાવથી તેમનો નાનો પુત્ર રાહુલ જાગી ગયો હતો અને મોટા પુત્ર પિન્ટુએ તરત જ વાડીના માલિક ઉપેન્દ્રભાઈને જાણ કરતા ઉપેન્દ્રભાઈએ તાત્કાલિક ૧૦૮ મારફતે નુરલીબેનને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. પોલીસે આરોપી પતિ કાલિયા ઓહરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાઈ છે.



