સુરેન્દ્રનગર: તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ મુળી તાલુકાના જેપર સીમ વિસ્તારમાં શ્રી સુરેશભાઈ હેમુભાઈ કોળી પટેલની વાડીમાં રાત્રે લગભગ ૯ વાગ્યાના સમયગાળા દરમિયાન એક વિશાળકાય અજગર જોવા મળતા ગામલોકોમાં કુતૂહલની સાથે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાડી માલિક સુરેશભાઈએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સુરેન્દ્રનગર વન વિભાગને જાણ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ડૉ. તુષાર પટેલ (DCF)ની સૂચના અને જી.વી. ગાગડીયા (RFO, મુળી)ના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ જેમાં (૧) શ્રી દાનુભા ગોહિલ, રાઉન્ડ ફોરેસ્ટર ગઢડા, (૨) રાજેન્દ્રસિંહ ઝાલા, (૩) પ્રકામસિંહ પરમાર અને ડ્રાઈવર મેરાભાઈનો સમાવેશ થતો હતો, તે ત્વરિત કાર્યવાહી કરીને રાત્રે લગભગ ૧૦ વાગ્યે જેપર ગામે ઘટનાસ્થળે પહોંચી હતી.
સ્થળ પર પહોંચતા વન વિભાગની ટીમે જોયું કે આજુબાજુના ગામોમાંથી આશરે ૧૦૦ જેટલા લોકો અજગરને જોવા માટે એકઠા થયા હતા. ટીમે કરેલી તપાસ દરમિયાન, વાડીના વિસ્તારમાં આશરે ૭ થી ૮ ફૂટ લાંબો અને અંદાજિત ૧૨ થી ૧૪ કિલો વજનનો એક વિશાળ અજગર જોવા મળ્યો હતો.
વન વિભાગની ટીમ દ્વારા આશરે એક કલાકની મહેનત અને કુશળતા પૂર્વક ઓપરેશન પાર પાડીને અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ, અજગરને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેની ખાતરી કરીને તેને તે જ રાત્રે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો, જેથી તે તેના કુદરતી નિવાસસ્થાને પરત જઈ શકે.
વન વિભાગની ઝડપી કાર્યવાહી અને ટીમની સતર્કતાને કારણે વન્યજીવને સુરક્ષિત રીતે બચાવી લેવા બદલ સ્થાનિક લોકોએ તેમની સરાહના કરી હતી.



