દિવેલાના ઊભા પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર, કાતરા અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટરા)ના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ પાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો. ખેતરમા દિવેલાની ઘોડીયા ઈયળની ફુદીઓની હાજરી જણાતા ટ્રાયકોગામા નામની ભમરીઓ દર અઠવાડીયે એક લાખ પ્રમાણે હેકટર દીઠ છોડવાથી સારું પરિણામ મળે છે.
ઘોડિયા ઈયળના ફૂદા આકર્શી નાશ કરવા પ્રકાશપિંજર રાત્રી સમયે ગોઠવવા. ધોડિયા ઈયળની નર ફુદીઓને આકર્ષવા માટે ફેરોમોન ટ્રેપ ૮-૧૦ પ્રતિ હેક્ટરે વાવણી બાદ ખેતરમાં ગોઠવવા તથા તેની ટોટી (લ્યુર/સેપ્ટા) ૧૫ થી ૨૦ દિવસના અંતરે બદલતા રહેવું. ઘોડિયા ઈયળો જોવા મળે ત્યારે બેસીલસ થુરેન્જીનેસીસ રોગપ્રેરક જીવાણુંનો પાવડર ૩૦ ગ્રામ/૧૦ લીટર પાણી સાથે સાંજ સમયે છંટકાવ કરવો.
દિવેલાની ઘોડીયા ઈયળનું પ્રમાણ વધારે હોય કીટકભક્ષી પક્ષીઓ જેવા કે મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા લાકડાના ૮ થી ૧૦ ફૂટ લાંબા ૫૦ ટકા પ્રતિ હેકટરે મૂકવા. એન.પી.વી. વાયરસગ્રસ્ત ૨૫૦ ઈયળ એકમ દ્વાવણ/૭૦૦ લીટર પાણીમાં હેક્ટર વિસ્તારમાં છાંટવાથી પાન ખાનાર ઈયળોમાં રોગ લાગુ પડતા સારુ નિયંત્રણ મળે છે.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.


