સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી ડામવા માટે તંત્ર સક્રિય બન્યું છે. તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના મોજે ખાખરાવાળી ગામે આવેલી ત્રણ જેટલી કોલસાની લીઝો પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સરકારી નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા અને અત્યંત ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી.
ત્યારે આ તપાસમાં સૌથી આશ્ચર્યજનક વિગત એ સામે આવી હતી કે, સર્વે નંબર ૧૦૯/૧ અને ૭૮/૧ માં આવેલી લીઝોના ધારકો અનુક્રમે સને ૨૦૧૪ અને ૨૦૨૦ માં અવસાન પામ્યા હોવા છતાં, આજદિન સુધી તેમના નામે ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા. આ પ્રકારની બેદરકારી અને કૌભાંડ સામે આવતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. આથી તપાસ દરમિયાન ત્રણેય લીઝોમાં અનેક ક્ષતિઓ જોવા મળતા નાયબ કલેકટરે સખ્ત કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી ૨ ક્રશર પ્લાન્ટ, ચારણો, ૨ વે-બ્રીજ, ૧ ટ્રેકટર, કેબીન અને પાઇપ લાઇન સહિત કુલ રૂ. ૩૫,૬૦,૦૦૦નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
આ તપાસ દરમિયાન બહાર આવેલી અન્ય ક્ષતિઓમાં લીઝમાં હદ નિશાન કે બાઉન્ડ્રીનું કોઈ નામોનિશાન નહોતું, ખનીજના સ્ટોક કે વિસ્ફોટક પદાર્થોના વપરાશ અંગેનું કોઈ જ રજીસ્ટર નિભાવવામાં આવતું નહોતું, મજુરોની સલામતી (Safety) માટે કોઈ પણ સાધનો કે સુવિધા રાખવામાં આવી નહોતી, કોઈપણ વાહન VTMS (Vehicle Tracking Management System) માં નોંધાયેલ નહોતું, ખાણ ખનિજ વિભાગ દ્વારા હાલ ઓપન કટિંગ અને પાણી ભરેલા સ્થળોએ ખનિજના જથ્થાની માપણી હાથ ધરવામાં આવી છે.
સરકારના નિયમો અને જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા આ લીઝ હોલ્ડરો સામે આગામી દિવસોમાં વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો ડેપ્યુટી કલેકટરની એક અખબારી યાદીમાં જણાવયુ છે.


