સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે પ્રશાસન સતત એક્શન મોડમાં છે. ચોટીલા સબ ડિવિઝનના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં તંત્ર દ્વારા તા.૨૦ ડીસેમ્બર ૨૦૨૫ના રોજ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતીના આધારે થાનગઢ મામલતદાર અને તેમની ટીમે સોનગઢ ગામના સર્વે નંબર ૬૨ વાળી જમીન પર આકસ્મિક તપાસણી હાથ ધરી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ પર બે કોલસાના કૂવામાં ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. તંત્રની ટીમને જોઈ ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.આથી આ દરોડા દરમિયાન અધિકારીઓએ ૧. આશરે ૩૦ મેટ્રિક ટન કોલસો, ૩ ટ્રેક્ટર, ૧ જનરેટર, ૨ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર (TC) સહિત સ્થળ સામગ્રી જપ્ત કરી છે. જેની તંત્ર દ્વારા જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા ૨૦,૦૦,૦૦૦ આંકવામાં આવી છે, જેને હાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા પ્રેમાભાઈ મોહનભાઈ અને અનકભાઇ કાઠી નામના ઇસમો વિરૂધ્ધ The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017) ના કડક નિયમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આથી નાયબ કલેક્ટરની આ આકરી કાર્યવાહીથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.



