સુરેન્દ્રનગર મહાનગરપાલિકા:સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી એન્ડ રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે "હર ઘર સ્વદેશી" અભિયાનની થીમ આધારિત સ્વદેશી "સાયકલોથોન"નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ફિટનેસ, પર્યાવરણ સુરક્ષા અને સ્વદેશી ઉત્પાદનોની જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો.
સાયકલોથોનનો પ્રારંભ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ શાહ, અગ્રણી વિરેન્દ્રભાઈ આચાર્ય, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુન ચાવડા તેમજ રોટરી એન્ડ રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખના હસ્તે ફ્લેગ ઓફ કરીને કરવામાં આવ્યો હતો.
આ સાયકલોથોન સવારે ૬:૦૦ કલાકે ઘૂઘરી પાર્ક, ૮૦ ફૂટ રોડ પરથી શરૂ થઈ હતી. રૂટ ઘૂઘરી પાર્કથી ભક્તિનંદન સર્કલ, એમ.પી. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને જનતા રોડ થઈને પરત ઘૂઘરી પાર્ક સુધીનો હતો. ૧૨ કિ.મી. અને ૨૪ કિ.મી.ના બે વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન સ્વદેશીના સંદેશા આપતા બેનરો અને સૂત્રો સાથે સાઇકલ ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ આયોજનનો મુખ્ય હેતુ સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ તેમજ આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દ્વારા ફિટનેસ, પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છ જીવનશૈલીનો અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. વિજેતાઓને સાઇકલના ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના સભ્યો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજન દ્વારા "સ્વદેશી અપનાવો અને સ્વસ્થ રહો"નો સંદેશ નાગરિકો સુધી સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો હતો.





