સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો સાથે મહત્ત્વની બેઠક યોજાઈ

0
રાજકીય પક્ષોના પ્રમુખશ્રીઓ, પ્રતિનિધિઓને ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલ, ASD યાદીની નકલ સોંપવામાં આવી
૦૦૦૦૦
૧.૩૭ લાખ જેટલા સ્થળાંતરિત, ગેરહાજર, ડુપ્લિકેટ અને મૃતક મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા*
૦૦૦૦૦૦
૧૮ જાન્યુઆરી સુધી હક્ક દાવાઓ માટે અરજી કરી શકાશે:હક્ક-દાવાઓની ચકાસણી બાદ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર, ૧ જાન્યુઆરી, ૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 'મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' શરૂ કરવામાં આવ્યો છે. આ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી. 
આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખશ્રીઓ અને પ્રતિનિધિશ્રીઓને ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલની હાર્ડ અને સોફ્ટ કોપી તેમજ ક્ષતિરહિત યાદી બનાવવા માટે જરૂરી ASD યાદી એનાયત કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ડેટા શુદ્ધિકરણની પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તારો—દસાડા, ચોટીલા, લીંબડી, વઢવાણ અને ધ્રાંગધ્રામાં અગાઉ નોંધાયેલા કુલ ૧૪,૮૧,૯૯૧ મતદારોની ચકાસણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન યાદીમાંથી ૪૩,૦૯૪ મૃતક મતદારો, ૫,૭૫૨ ડુપ્લિકેટ અને ૭૧,૮૫૮ કાયમી સ્થળાંતરિત થયેલા મતદારો, જેમનો સંપર્ક ન થઈ શક્યો હોય અથવા હાજર ન હોય તેવા ૧૫,૨૦૧ મતદારો સહિત કુલ ૧,૩૭,૦૫૫ નામો દૂર કરી મતદારયાદીને શુદ્ધ કરવામાં આવી છે.
મતદારયાદી સુધારણાના સમયપત્રક અંગે વિગતો આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુદીપ શાહે જણાવ્યું હતું કે, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીના એક માસના ગાળામાં નાગરિકો નવા નામ નોંધાવવા, નામ કમી કરાવવા કે વિગતોમાં સુધારા-વધારા માટે હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. આ સમયગાળા દરમિયાન મળેલી અરજીઓની ચકાસણી અને સુનાવણીની પ્રક્રિયા ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ, ચૂંટણી પંચની આખરી મંજૂરી મેળવીને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે સહાયક મતદાર નોંધણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. અંદાજે ૮૧,૯૧૮ મતદારોનું હાલ ૨૦૦૨ની મતદારયાદીમાં મેપિંગ થઈ શક્યું નથી. જેમના દસ્તાવેજોની ચકાસણી બાદ જ આખરી યાદીમાં સમાવેશ અંગે નિર્ણય લેવાશે. જિલ્લા કલેકટરશ્રી દ્વારા તમામ પાત્રતા ધરાવતા નાગરિકોને આ સુધારણા કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top